“वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः, निर्विघ्नं कुरु मे देव, सर्व कार्यषु सर्वदा”... આ શ્લોક ભગવાન શિવના પુત્ર ગણેશજીને સમર્પિત છે. જેનો અર્થ છે, ‘હે વાંકી સૂંઢવાળા વિશાળકાય ગણેશજી, મારા જીવનના બધા કાર્યોને વિઘ્નરહિત કરી એક સારું જીવન પ્રદાન કરો.
હિન્દુ ધર્મમાં ગણેશજીને ભક્તોની સમસ્યાઓ હરનાર માનવામાં આવે છે એટલે તો તેમને વિઘ્નહર્તાનું નામ આપવામાં આવ્યું છે. આથી હિંદુઓ દરેક શુભ કાર્ય કરતા પહેલા ગણેશ પૂજનને યોગ્ય માને છે, જેથી થવાવાળા કાર્યો કોઈ પણ વિઘ્ન વિના પૂરા થઈ જાય. આજે ગણેશ ભગવાનના સંદર્ભમાં ચર્ચા કરવા પાછળ કારણ છે ગણેશ ચોથનો તહેવાર. આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજથી ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. ચારેય તરફ ગણેશજીની પૂજા થશે. ઘર-ઘરમાં તેમની સ્થાપના કરવામાં આવશે, સવાર-સાંજ તેમની સેવા કરવામાં આવશે તેમને મીઠા અને સ્વાદિષ્ટ મોદકનો પ્રસાદ ચડાવવામાં આવશે અને છેલ્લે વહેતા પાણીમાં પૂર્ણ વિધિ-વિધાનની સાથે તેમનું વિસર્જન કરવામાં આવશે.