ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

4 ઑક્ટોબર, 2015

શ્રાદ્ધ સંબંધી આ 7 સવાલોના જવાબ, જેની જાણકારી દરેકને હોવી જોઇએ!

દર વર્ષે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? એવો પ્રશ્ન દરેક નવી પેઢીના લોકોને થતો હતો પરંતુ જો તમે આપણી પ્રાચીન પરંપરાની કેટલીક હકીકતો જાણશો તો તમે પણ ચોક્કસ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરશો. હિન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે. જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તી કહેવામાં આવે છે.

આથી આવા આત્મસાક્ષાત્કારીને ભુમીદાહ દેવામાં આવે છે અને તેની સમાધી બનાવવામાં આવે છે. કેમ કે એને કોઈ પણ જાતની વાસના રહેલી હોતી નથી. આથી આવા આત્મા સ્થૂળ શરીરની આસપાસ ફરતાં રહેતા નથી. પણ જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાશક્તિ પણ હોવાની, આથી જો સ્થૂળ દેહને બાળવામાં આવે તો આત્માની એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હિન્દુઓમાં અગ્નીદાહની પ્રથા છે. દરેક માટે એ સમય સરખો હોતો નથી. કોઈકને બહુ જ ટુંકા સમયમાં પુનર્જન્મ મળી જાય – ખરેખર તો એ ધારણ કરે. એનો આધાર આત્માની ગુણવત્તા પર રહેલો છે.

બહુ જ ઉચ્ચ કોટીના અને તદ્દન નીચ કોટીના આત્માને પોતાને અનુકૂળ મા-બાપ જલ્દી મળી આવતાં નથી, આથી એના પુનર્જન્મને વર્ષોનાં વર્ષો લાગી જાય. જ્યારે સામાન્ય કક્ષાના સરેરાશ આત્માને યોગ્ય મા-બાપ મેળવવામાં મુશ્કેલી નથી હોતી. વળી મૃત્યુ પછી આત્માની સ્મૃતિ આગળ જોયું તેમ ૧૨-૧૩ દિવસ સુધી જ રહે છે. પણ કોઈક આત્મા અમુક કારણોસર આ સ્મૃતિ અનેક વર્ષો સુધી પણ જાળવી રાખે એવું બની શકે. આથી એવા આત્માને માટે દર વર્ષે શ્રાદ્ધ કરવાની જરૂર રહે.

સામાન્ય રીતે વાર્ષિક શ્રાદ્ધ આપણે તે જ વર્ષે મૃત્યુ પામેલ આત્મા માટે કરીએ છીએ પણ તે સમયે આપણાં બધા જ પુર્વજો અને અન્ય સગાંસંબંધીઓ, મિત્રો, ગુરુ, નોકરો, પરીચિતો, અપરીચિતો જેમને માટે આવી ક્રિયા ન થઈ શકી હોય તે બધાં ઉપરાંત વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોમાં પણ આત્મા છે એવી હિન્દુ ધર્મમાં માન્યતા છે. આથી આ બધાંની તૃપ્તિ માટે દર વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે છે.

-મૃત્યુનાં એક વર્ષ બાદ પણ પિંડદાન કેમ કરવામાં આવે છે?
-શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?
-શ્રાદ્ધ માટે આ સમય જ કેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે?
-એવું તે શું કરી શકાય કે જેથી આત્માઓને નવો જન્મ મળે?
-પીપળાની પૂજાથી થાય છે પિતૃદોષની શાંતિ કારણ કે?
-આકસ્માતે કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ?
-શ્રાદ્ધ પક્ષમાં જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું?

મૃત્યુનાં એક વર્ષ બાદ પણ પિંડદાન કેમ કરવામાં આવે છે?

હિંદુ સંસ્કૃતિમાં વ્યક્તિની હયાતી દરમિયાન તેના જીવનમાં અને જીવન બાદ પણ ઘણાં સંસ્કાર કરવામાં આવે છે. માણસ જન્મે તે પહેલાં ઘણાં પ્રકારની પરંપરાઓ નિભાવે છે, સંસ્કાર નિભાવે છે. મૃત્યુનાં સમયે અને મર્યા બાદ તેર દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે. આખરે પુરા એક વર્ષ સુધી દર મહિને પિંડદાન કેમ કરવામાં આવે છે તેનાં પાછળ કયું કારણ છે, કેમ વર્ષભરનાં બારેય મહિના પિંડદાન કર્યા બાદ વરસી વાળવામાં આવે છે. વાસ્તવમાં આ આપણાં શાસ્ત્રોમાં તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇનાં મૃત્યુ બાદ પિંડદાન કેમ કરવામાં આવે છે તેનો જવાબ કઠોપનિષેદ, ગરૂડ પુરાણ,અગ્નિ પુરાણ જેવાં ગ્રંથોમાં આપવામાં આવ્યા છે.

ગરૂડ પુરાણમાં કહ્યા પ્રમાણે મૃત્યુ બાદ આત્મા યમપુરી માટે યાત્રા શરૂ કરે છે. ત્યાં તે 17 દિવસોમાં પહોંચે છે. તેનાં પછી સતત તેને યમપુરીનાં ઉપનગરોમાં ફરવું પડે છે. આ રસ્તામાં 11 નગર આવે છે અને આ આખી યાત્રામાં તેને અન્ન- જળ ઉપલબ્ધ હોતાં નથી. મૃતાત્માનાં પુત્ર અને પરિજન તેને જે અર્પણ કરે છે તે જળ જ તેને મળે છે અને પિંડદાન કરે છે તે પિંડ જ તેને યમપુરીમાં ખાવામાં મળે છે. અગિયાર મહિનામાં સતત યાત્રા બાદ તે બારમાં મહિને યમરાજનાં દરબારમાં પહોંચે છે ત્યારે તેને એક વર્ષ પુરૂ થઇ ચુક્યુ હોય છે.

યમરાજનાં સામે પહોંચ્યા બાદ તેને પોતાનાં કર્મો અનુસાર નર્કની યાતાના કે સ્વર્ગનું સુખ ભોગવવું પડે છે. આ કાર્યમાં જીવને શક્તિ મળી શકે, તે માટે બારમા મહિને વરસી વાળવામાં આવે છે.

શ્રાદ્ધ પક્ષમાં કાગડાને કાગવાસ કેમ આપવામાં આવે છે ?

શ્રાદ્ધ પક્ષ પિતૃઓનો ઉત્સવ છે અનેક પ્રકારના મિષ્ટાન્ન અને પિતૃઓનો ભાવતાં ભોજન બનાવીને તેમનો ભોગ પિતૃઓને ચઢાવવામાં આવે છે. શું તમે જાણો છો કે પિતૃઓને ભોજન અર્પણ કરતા પહેલા કાગડાને કેમ વાસ આપવામાં આવે છે? હિંદુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લે શાસ્ત્રોમાં કરાયો છે.

કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે.કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે.આ ઉપરાંત બીજી પણ એક માન્યતા છે કે શ્રાદ્ધ નિમિત્તે આપેલ કાગવાસ લેવા પિતૃઓ જ કાગનું રૂપ લઇને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે.જો ધ્યાનથી જોવામાં આવે તો કાગડો એક આંખવાળો હોય છે. તેને એક જ આંખથી જોવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે પિતૃઓની તુલના કાગડા સાથે કરવી જોઈએ.જે પ્રકારે કાગડો એક આંખથી નિષ્પક્ષ અને સમભાવથી જોવે છે તે જ રીતે આપણે એ આશા કરીએ છીએ કે આપણા પિતૃ્ઓ પણ આપણને સમભાવથી જોવે છે અને આપણા પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવીને રાખે છે. તેઓ આપણી ખોટી આદતોને પણ એ જ રીતે સ્વીકારે છે જે પ્રકારે સારી વાતોને સ્વીકારે છે.આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને સૌથી પહેલા ભોજન કરાવવામાં આવે છે.

એવું તે શું કરી શકાય કે જેથી આત્માઓને નવો જન્મ મળે

ભાગવતમાં જ્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ત્યારે જ કીધુ હતું કે મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર આત્મા અમર છે, અહીં જન્મ લેનારા વ્યક્તિને એકનાં એક દિવસ આ નશ્વર દેહ છોડીને જવાનું જ છે. જે પ્રકારે આપણે કપડાં બદલીએ છીએ તે જ પ્રકારે આત્મા શરીર બદલે છે. એક શરીરને છોડ્યા બાદ તે બીજું શરીર ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર આત્મા શરીરનો ત્યાગ કર્યા બાદ બીજું શરીર ધારણ કરે છે પરંતુ મૃત શરીરની આત્મા બીજું શરીર કેવી રીતે ધારણ કરે છે? આ સંબંધમાં શાસ્ત્રમાં એક વિધાન આપવામાં આવ્યું છે.જ્યારે પણ ઘરનાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે નિમિત્તે પિંડદાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિંડદાન કર્યા બાદ આત્માને નવું શરીર પ્રાપ્ત થાય છે.

આ જ કારણે મૃત વ્યક્તિનાં મર્યા બાદ તેનાં પરિવારજન પિંડદાન કરે છે. શ્રાદ્ધનાં દિવસોમાં પિંડદાનનું વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયે કરવામાં આવતા પિંડદાનથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તેને નવું શરીર મળે છે.  શ્રાદ્ધનાં દિવસોમાં વિધિ-વિધાનથી પિંડદાન કરવાથી ઘર-પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે. પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધમાં ધૂપ- ધ્યાન કરવાથી તેમને ભોજન મળે છે અને તૃપ્ત થાય છે તે સાથે તેમની વિશેષ કૃપા આપણાં ઘર-પરિવાર પર રહે છે.

પીપળાની પૂજાથી થાય છે પિતૃદોષની શાંતિ કારણ કે

વેદોમાં પણ પીપળાના ઝાડને પૂજ્ય માનવમાં આવે છે. પીપળની છાયા. તપ, સાધનાના માટે ઋષિઓને પ્રિય સ્થળ માનવામાં આવે છે. મહાત્મા બુદ્ધના બોધક્તનિર્વાણ પીપળાની ઘેરી છાયાથી જોડાયેલી હોય છે. શાસ્ત્રોના અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો નિવાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુને પિતૃના દેવતા માનવામાં આવે છે કારણકે પ્રસિદ્ધ ગ્રંથ વ્રતરાજની અશ્વત્થોપસનામાં પીપળાના વૃક્ષની મહિમાનો ઉલ્લેખ છે.
આમાં અર્થવણઋષિ પિપ્લાદમુનીએ કહ્યુ છે કે પ્રાચીન કાળમાં દૈત્યોના અત્યાચારથી પીડિત સમસ્ત દેવતાગણ જ્યારે વિષ્ણુની પાસે ગયા અને તેમને કષ્ટ મુક્તિનો ઉપાય પુછ્યો,ત્યારે વિષ્ણુએ જવાબ આપ્યો કે હું – અશ્વત્થના રૂપમાં ભુતળ પર પ્રત્યક્ષ રૂપે વિદ્યમાન છું. આ માટે એવી માન્યતા છે કે વિષ્ણુ ભગવાનના સ્વરૂપે પીપળાને પિતૃ નિમિત્તે જે પણ ચઢાવવામાં તેનાથી આપણા પિતૃને તૃપ્તિ મળે છે.અમાસ એ પિતૃનો દિવસ માનવામાં આવે છે આ માટે અમાસના દિવસે પુર્વજોની તૃપ્તિ માટે પીપળાને દુધ અને જળ ચઢાવવામાં આવે છે.

આ તિથિએ માત્ર આકસ્મિક મૃત્યુ પામેલા પિતૃનું શ્રાદ્ધ જ થાય છે

શ્રાદ્ધ એટલે પિતૃઓને તૃપ્ત કરવાનો અને પિતૃઓને શાંતિ આપી તેમનાં આશીર્વાદ મેળવવાનો સમય સામાન્ય રીતે આપણે એ વાત તો જાણીએ જ છીએ કે વ્યક્તિના મૃત્યુના દિવસે જે તિથિ હોય છે તે જ તિથિના દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ શું તમે તે વાત જાણો છો કે ચૌદસના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદસના દિવસે નથી કરાતું. હા, ચૌદસના દિવસે મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદસ પછીના દિવસે એટલે કે અમાસના દિવસે જ કરવામાં આવે છે. ચૌદસના દિવસે માત્ર હત્યા, એક્સિડેન્ટ, અપ્રાકૃતિક રીતે મૃત્યુ પામેલી વ્યક્તિઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે, પછી તેમનું મૃત્યુ ગમે તે તિથિએ થયું હોય.

શ્રાદ્ધ પક્ષ: જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે.

ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ- આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પાંચમનું શ્રાદ્ધ -આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

નોમનું શ્રાદ્ધ-આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

ચૌદશનું શ્રાદ્ધ-આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.

સર્વ પિતૃમોક્ષ અમાસ -કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.