દિવાળીના દિવસે આપણા ઘરમાં ભગવાન ગણેશજીની સાથે લક્ષ્મીજી અને સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આખરે શા માટે લક્ષ્મીની સાથે વિષ્ણુની પૂજા ન કરાતા ગણપતિ અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
હિંદુ ધર્મની પરંપરાઓ અનુસાર રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી તેમજ વિઘ્ન હર્તા શુભ કર્તા હોવાથી ગણપતિની પૂજા કરવામાં આવે છે. દિવાળીમાં લક્ષ્મી પૂજનનો મહિમા વિશેષ હોવાથી ધન-સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજીને પણ ગણપતિ સાથે પુજવામાં આવે છે. તમે જાણો છો ગણેશ લક્ષ્મીજીની સાથે શા માટે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આપણે ત્યાં શુભ લક્ષ્મીનો મહિમા છે. અલક્ષ્મીને આપણે ત્યાં ઈચ્છવા યોગ્ય માનવામાં નથી આવતી. શુભ લક્ષ્મી અને તેની સાથે રિદ્ધિ-સિદ્ધિ વિશેષ જ્ઞાન અને કૌશલ્ય વગર પ્રાપ્ત નથી થતું. વ્યક્તિ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી જે લક્ષ્મી મેળવી શકે છે તેની તુલના અન્ય પ્રકારે આવતી લક્ષ્મીની સાથે થઈ શકે નહીં. તે સૌથી ચડિયાતી લક્ષ્મી ગણાય છે. તેથી જ્ઞાનની દેવી સરસ્વતીની જો કૃપા હોય તો લક્ષ્મી પગમાં પડતી આવે છે. આમ આપણે ત્યાં દિવાળીના દિવસમાં ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. જેની પાસે જ્ઞાન હોય ત્યાં લક્ષ્મી અને રિદ્ધિ-સિદ્ધિ સ્થાયી નિવાસ કરે છે.