તા.૧૨ ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ સાથે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થશે. આ જ દિવસે ચતુર્ગ્રહી યોગ અને સોમવાર હોવાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો પણ સંયોગ થઇ રહ્યો છે, એટલે કે એક જ દિવસે આવો અનોખો ત્રિવેણી સંયોગ થઇ રહ્યો છે.
દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે આ વર્ષે ચતુર્ગ્રહી યોગ, સોમવતી અમાસ અને સર્વપિતૃ અમાસનો સંયોગ થાય છે. તેમાં પણ રાજકીય દૃષ્ટિએ આ સંયોગ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય સંઘર્ષ, આંતરવિગ્રહની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આ દિવસ પિતૃકૃપા, શિવ આરાધના, વિષ્ણુ આરાધના માટે સર્વોત્તમ છે.
તેમણે કહ્યું કે જેમને પોતાના પિતૃઓની તિથિ યાદ નથી અથવા કોઈ આખા પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ-તર્પણ વગેરે નથી કરી શકતા તેવા શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ અમાસનાં દિવસે શ્રાદ્ધ-તર્પણ, દાન કરી શકે છે. સામાન્ય રીતે તો દરેક અમાસ પિતૃ કૃપા મેળવવા માટે ઉત્તમ છે છતાં પણ ભાદરવી અમાસ, સર્વપિતૃ અમાસનું વિશિષ્ટ મહત્ત્વ છે.
તેમણે કહ્યું કે જે રીતે નાનો યજ્ઞ કરવાથી તેની દિવ્ય સુગંધ અને ઉદાત્ત ભાવના સમસ્ત વાતાવરણ અને બધા જ જીવોને લાભ પહોંચાડે છે, તેવી જ રીતે કૃતજ્ઞતાની ભાવનાથી કરવામાં આવેલ શ્રાદ્ધ-કર્મ સમસ્ત જીવોમાં શાંતિમય ભાવનાનો સંચાર કરે છે. સદ્ભાવનાનાં તરંગો તો જીવંત અને મૃત, બધાને પ્રભાવિત કરે છે, પરંતુ તેનો સૌથી વધુ હિસ્સો તેમને પહોંચે જેના માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે.
તેમણે જણાવ્યું કે જુદા જુદા ઉલ્લેખો અનુસાર શ્રાદ્ધનું ખાસ મહત્વ છે, જે અંતર્ગત મહર્ષિ જાબાલિ મુજબ 'પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.' મહાભારતમાં આવતા એક પ્રસંગમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેતા હોય છે 'જે મનુષ્ય પોતાના પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ નથી કરતાં તેમને બુદ્ધિમાન્ મનુષ્યો મૂર્ખ કહે છે.' ગરુડ પુરાણમાં ઋષિએ જણાવ્યું છેે 'પિતૃપૂજનથી સંતુષ્ટ પિતૃઓ મનુષ્યને આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.' આજે નદી કિનારે શ્રદ્ધાળુઓ પિતૃશાંતિ માટેની ક્રિયા કરશે
સર્વપિતૃ અમાસે અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ નદી કિનારે પિતૃશાંતિ અને પિતૃકૃપા મેળવવા માટે વિશિષ્ટ વિધિમાં ભાગ લેશે. આ અંગે દિલીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે ચાણોદ-કરનાળી સહિત અમદાવાદનાં નદી-કિનારે આવેલા ધર્મસ્થાનકો ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃઓની કૃપા મેળવવા અને શાંતિ માટે શ્રાદ્ધ-તર્પણ આદિ વિધિ-વિધાન પણ થશે.
સત્તાધીશો માટે પખવાડિયું કષ્ટદાયક બની રહેશે જણાવ્યું કે, સર્વપિતૃ અમાસે કન્યા રાશિમાં ચંદ્ર-બુધ-સૂર્ય-રાહુનો ચતુર્ગ્રહી યોગ છે. તે અનુસાર સૂર્યની સાથે રાહુ-ચંદ્ર-બુધનું હોવું સત્તાધારી પક્ષ માટે નકારાત્મક ગણી શકાય છે. જે અનેક સંઘર્ષ જન્માવી શકે છે. સૂર્ય-રાહુની યુતિના કારણે મહત્વના પ્રશ્નો ઉકેલાય નહીં. આંતરવિગ્રહની પણ શક્યતા છે. સિંહ રાશિમાં મંગળ-ગુરુ-શુક્રની યુતિ અને વૃશ્ચિકનો શનિ, મંગળની રાશિમાં હોવાથી જનસામાન્ય આંદોલન માટે પ્રેરાઈ શકે. ગુજરાત સહિત દેશમાં સત્તાધીશો માટે પખવાડિયું કષ્ટદાયક રહી શકે.