મૂલ્યવાન રત્નોની સચોટ જાણકારી અને માર્ગદર્શન પ્રાપ્ત થાય તો જ રત્ન ધારણ કરવાનું યથાર્થ ગણાય. ઘણી વાર અજાણતા કે દેખાદેખીમાં અધૂરી જાણકારીથી આપણે જે રત્ન ધારણ કરીએ તે લાભને બદલે નુકસાન કરે તેવી શક્યતા વધારે રહે છે. તેથી તમારા માટે કયું રત્ન અનુકૂળ રહેશે તે જાણી લેવું જરૂરી છે. રત્નશાસ્ત્રમાં રત્ન ધારણ કરવા અંગે માર્ગદર્શન કે કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે. જેના પરથી નક્કી કરી શકાય છે કે કયું રત્ન ધારણ કરવાથી લાભ થશે.
જન્મપત્રિકામાં ચંદ્ર દૂષિત હોય અથવા વૃશ્ચિક રાશિનો હોય એવા જાતકે મોતી અવશ્ય ધારણ કરવું જોઈએ.
લગ્નમાં કે ચોથા સ્થાનમાં સૂર્ય હોય તેવી વ્યક્તિઓએ માણેક ધારણ કરવું.
કુંડળીમાં મંગળ-રાહુ કે મંગળ-શનિ અથવા મંગળ દૂષિત કે બળહીન હોય તો પ્રવાલ રત્ન ધારણ કરવું લાભદાયી રહે છે.
15 જૂનથી 14 જુલાઈ તથા 15 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધીમાં જન્મેલ અથવા કુંડળીમાં આઠમા કે બારમા સ્થાનમાં બુધ હોય તો બુધનું રત્ન પન્ના ધારણ કરવું.
કુંડળીમાં મકરનો ગુરુ હોય ત્યારે અથવા ધન કે મીન રાશિવાળા જાતકો પોખરાજ પહેરે તો ઘણો લાભ થાય.
કોઈ પણ મહિના કે વર્ષમાં 8, 17 અને 26 તારીખે જન્મેલા અથવા વૃષભ, તુલા, વૃશ્ચિક લગ્નવાળા જાતકોએ શનિ રત્ન નીલમ અવશ્ય ધારણ કરવું જોઈએ.
કુંડળીમાં શનિ દુર્બળ, વક્રી કે નીચ રાશિનો બનતો હોય તો નીલમ ધારણ કરી શકાય.
બુધ-શુક્ર સાથે કુંડળીમાં રાહુ હોય અથવા છઠ્ઠા, આઠમા સ્થાને રાહુ સ્થિર હોય તો રાહુનું રત્ન ગોમેદ ધારણ કરવું જોઈએ.
15 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન જન્મેલ અથવા જન્મરાશિથી બીજા કે ચોથા સ્થાનનો કેતુ અશુભ હોય તેવી વ્યક્તિઓ કેતુનું રત્ન વૈદૂર્ય ધારણ કરે તો ખૂબ જ લાભ થાય છે.
મીન લગ્ન હોય તો હીરો ક્યારેય ના પહેરવો. મકર લગ્નવાળાએ હીરો પહેરવાની જરૂર નથી.
સામાન્ય રીતે રત્નની વીંટી ડાબા હાથની આંગળીએ ના પહેરવી જોઈએ, પરંતુ પરવાળું જો ડાબા હાથની મધ્યમા આંગળીમાં ત્રિલોહ ધાતુમાં ધારણ કરો તો વિશેષ લાભ થાય છે.